સૂર્યશકિતનું પ્રતિક: મોઢેરાનું સૂર્ય મંદિર

Submitted by vinitrana on Fri, 07/11/2014 - 07:35
આપણા સૌરમંડળમાં આવેલો સૂર્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક તારો છે. સૂર્ય ઉર્જાશકિતનો સ્રોત છે. પૃથ્વી ઉપરનું જીવન મહદઅંશે સૂર્યની હૂંફને આભારી છે. સૂર્યની પ્રચંડ તાકાતને ઓળખીને આદિકાળથી માનવજાત સૂર્યદેવની ઉપાસના કરતી આવે છે, [img_assist|nid=47609|title=SURYA MANDIR_1|desc=|link=none|align=left|width=449|height=302]આ વાતની સાબીતી સમગ્ર ભારતવર્ષમાં ઠેર-ઠેર સૈકાઓ પહેલા બાંધવામાં આવેલા સૂર્ય મંદિરો છે. ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર વિખ્યાત છે. મહેસાણા જિલ્લાથી ૨૬ કિ.મી. ના અંતરે એક વિશાળ ટેકરા ઉપર આવેલું મોઢેરા ગામ વિવિધ વસતિ ધરાવે છે. બેચરાજી નજીક આવેલું આ ગામ સતયુગમાં મોહરકપુર તરીકે જાણીતું હતું.

પુષ્પાવતી નદીના કિનારે વસેલું મોઢેરા ગામ પુરાતન પર્યટન સ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ઘ છે. ગામની પશ્ચિમ દિશામાં આવેલું આ સૂર્ય મંદિર રેતાળ પથ્થરોથી નિર્માણ પામેલું છે. મધ્યકાલિન યુગમાં ગુજરાતનું પાટણ શહેર ગુજરાતનું રાજકિય કેન્દ્ર તરીકે જાણીતું હતું. સોલંકી વંશના શાસન દરમિયાન આ સૂર્ય મંદિરનું નિર્માણ થયેલું છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. ૧૦૨૭નો ઉલ્લેખ જોવા મળે છે અને ભોળા ભીમદેવના રાજયકાળના સમયમાં આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે એવું આ શિલાલેખથી સ્પષ્ટ થાય છે. પુરાતન યુગમાં આ મોઢેરાને ધર્મારણ્ય કહેવામાં આવતું હતું. મોઢેરાના અન્ય નામો પણ છે. ધાર્મિક ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે ત્રેતાયુગમાં આ સ્થળ સત્યમંદિર, દ્વાપરયુગમાં વેદભુવન અને કળિયુગ મોઢેરા તરીકે ઓળખાય છે.

મોઢેરામાં આવેલું સૂર્યમંદિર વિવિધ ભાગોમાં વહેચાયેલું છે. મંદિરની શરૂઆતના ભાગમાં એક વિશાળ સ્નાન કૂંડ આવેલો છે જેને સૂર્ય કૂંડ કહેવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા જતાં પહેલા દર્શનાર્થી આ કૂંડમાં સ્નાન કરી શકે એવી વ્યવસ્થા અહી ગોઠવવામાં આવેલી છે. હિન્દુ ધર્મમાં જાપ માટે ૧૦૮ મણકાની માળા હોય તે રીતે આ કૂંડની અંદર ચોતરફ નાના-નાના ૧૦૮ મંદિરો આવેલા છે. કૂંડની અંદરની બાજુએ ચાર મોટા મંદિરો આવેલા છે. પૂર્વ દિશામાં શેષસાઇ વિષ્ણુંનું મંદિર, પશ્ચિમ દિશામાં વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ મૂર્તિઓની સાથે ગણપતિની મૂર્તિઓ સ્થાપિત છે. ઉત્તર દિશામાં નટરાજ અને દક્ષિણ દિશામાં શીતળા માતાનું મંદિર આવેલું છે.

[img_assist|nid=47610|title=KUND|desc=|link=none|align=left|width=449|height=302]સ્નાન બાદ સૂર્ય કૂંડમાંથી ઉપર ચડતાં બે વિશાળ સ્તંભ દશ્યમાન થાય છે. આ સ્તંભ કિર્તી સ્તંભ તરીકે ઓળખાય છે. કિર્તી સ્તંભથી આગળ વધતા બાવન સ્તંભ ઉપર સ્થિત સભામંડપ આવેલું છે. આ સ્તંભો ઉપર મહાભારતના વિવિધ ચિત્રો-કલાકૃતિઓ જોનારને આકર્ષે છે. દર્શનાર્થી ભજન-કિર્તન કરી શકે અને ધાર્મિક નૃત્યો પણ ભજવામાં આવતા હોવાથી આ સભામંડપને નૃત્ય મંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નૃત્ય મંડપથી આગળ વધતા સૂર્યનારાયણનું મુખ્ય મંદિર આવે છે.આ મુખ્ય મંદિરના દરેક ખૂણામાં સૂર્યની પ્રતિમાઓ આવેલી છે. આ મંદિરના આંતરિક ભાગમાં બે ભોયરા આવેલા છે. આ ભોયરાઓનો ઉપયેગ સંકટ સમયે કરવામાં આવતો હતો એવી માન્યતા પ્રચલિત છે. અહી ગર્ભગૃહમાં સૂર્યનારાયણની પાંચેક ફૂટ ઊંચી સાત ઘોડાવાળી સોનાની મૂર્તિ હતી. આ મૂર્તિના કેન્દ્રમાં એક હિરો મૂકવામાં આવેલો હતો. ગ્રેગેરિયન કેલેન્ડરના માર્ચ મહિનાની એકવીસમી તારીખે સૂર્યોદય થાય ત્યારે પ્રથમ કિરણ આ હિરા ઉપર પડે ત્યારે સમગ્ર ગર્ભગૃહ પ્રકાશમય બની જતું હતું. ગર્ભગૃહની ચોતરફ પરિક્રમા પથ આવેલો છે.આ પરિક્રમા પથ ઉપર પસાર થતાં તેની આસપાસ જન્મથી મૃત્યુ સુધીનો ઘટમાળ વર્ણવામાં આવેલો છે. મુખ્ય મંદિરની બહાર નીકળતા કાળભૈરવની અને તેની સમીપે શિવ-પાર્વતિની મૂર્તિઓ આવેલી છે.

એકવીસમી સદીના આરંભમાં સૂર્યોદયની નવી શતાબ્દી મોઢેરાના સૂર્ય મંદિરમાં ઉજવવામાં આવી હતી. પ્રાચીનકાળમાં પણ અહીં નૃત્ય અને સંગીતની ઉજવણી થતી હતી.મંદિરની પૂર્વ તરફ એક નાનકડું તળાવ આવેલું છે. કાચા પથ્થરના નકશીકામથી તૈયાર થયેલું આ તળાવ પણ સોલંકી વંશના પૂર્વજો દ્વારા બાંધવામાં આવેલું છે. સૂર્યમંદિરની સમાંતર રેખા ઉપર તળાવના મધ્ય ભાગમાં એક સ્થાપત્ય આવેલું છે જેને સ્થાનિક રહેવાસીઓ રાવઠી હવા મહલ તરીકે ઓળખે છે. દંતકથા પ્રમાણે સોલંકી વંશના સૂર્યવંશી રાજા ભોળાભીમ દેવ આ મહેલામાં બિરાજમાન થઇને સૂર્ય મૂર્તિના દર્શન કરતા હતા.

આપણે ત્યાં વિવિધ સ્થળે ભાતીગળ સાંસ્કૃતિક મેળાઓનું આયોજન થતું હોય છે. પરંપરા પ્રમાણે શ્રાવણ વદ અમાસના રોજ મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ લોકમેળો આયોજિત થાય છે. લોકો આ મેળામાં આવે છે અને સૂર્ય કૂંડમાં પવિત્ર સ્નાનનો લાભ મેળવે છે.

મોઢેરાનું સૂર્ય મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું છે અને તેની જાળવણી પણ નોંધપાત્ર રીતે થઇ રહી છે. સ્થાનિક રહેવાસીઓ પણ આ મંદિરની ગરિમા જાળવીને તેનું જતન કરે છે.પુરાતત્વવિદો અને વિદેશી પ્રવાસીઓ આ મંદિરનું દસ્તાવેજીકરણ પણ કરતાં હોય છે.

ભારતવર્ષના સૂર્ય મંદિરો શિલ્પ અને સ્થાપત્યના દ્રષ્ટિકોણથી ઉચ્ચકોટિના બેજોડ નમૂનાઓ છે. ભારતવર્ષની ભાતીગળ સંસ્કૃતિથી છલકતાં આવા મંદિરો આપણા ભવ્ય ભૂતકાળની યાદગીરી સમાન છે. આ યાદગીરીઓ કાયમી બની રહે એ આપણી નૈતિક ફરજ છે, આપણે આપણી નૈતિક ફરજ બજાવીએ અને આવા ભવ્ય ભૂતકાળને ફોટોગ્રાફ કે પુસ્તકો સુધી મર્યાદિત થતા અટકાવીએ.

શિલ્પ રૂપ સૂરજ છલકાયો,વિશ્વ પ્રવાસી મોહે,અહીં ભોળાભીમદેવ સોલંકી કેરુંસૂર્ય મંદિર સોહે...!!!

વિનીત કુંભારાણા